પુણિયો શ્રાવક પ્રભુનો સાચો ભક્ત હતો.
એણે પોતાના સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો હતો અને માત્ર રૂની પૂણીઓ બનાવી , તેને વેચીને પોતાની આજીવિકા ચલાવતો હતો.
આમાંથી જે કંઈ મળે તેનાથી પતિ-પત્ની સંતોષ માનતા હતા. બંનેના મનની ભાવનાઓ ઘણી ઊંચી હતી. બેમાંથી એક જણ ઉપવાસ કરે . ઉપવાસ એટલે આત્માની નજીક વાસ કરવો તે તો ખરું જ , પરંતુ ઉપવાસને કારણે જે ભોજન બચ્યું તે બીજાને ભાવથી બોલાવીને જમાડતા હતા .
સામાયિક તો પુણિયા શ્રાવકની. સામાયિક એટલે સમભાવ , સંયમ અને શુભભાવ . એ સામાયિક સમય જતાં પુણિયા શ્રાવકની અંતરયાત્રાનું શિખર બની ગઈ.
એક્વાર તો પુણિયા શ્રાવક સામાયિકમાં બેઠા હતા , પરંતુ ચિત્ત આત્મામાં સ્થિર નહોતું . મન જરા ડોલતું હતું . અગાઉ ક્યારેય આવું બન્યું નહોતું અને એકાએક આવું બન્યું કેમ ? શા માટે ચિત્ત આજે અસ્વસ્થ બન્યું ?
વિચારમાં ડૂબેલા પુણિયા શ્રાવકે એની પત્નીને કહ્યું , ``અરે ! આજે સામાયિકમાં કેમ ચિત્ત કેમ સ્થિર થતું નથી ? કશુંક અયોગ્ય , અનુચિત તો બન્યું નથી ને ? કોઈ અનીતિવાળું કશુંક દ્રવ્ય તો ઘરમાં આવ્યું નથી ને ?”
પુણિયાની પત્નીએ કહ્યું , `` આજે ઘરમાં છાણા નહોતા . રસ્તામાં જતી હતી ત્યાં છાણા પડેલા જોયાં . એમાંથી થોડા છાણા લઈને આજે રસોઈ કરી છે . બાકી બીજું કશું ઘરમાં આવ્યું નથી કે હું કશું લાવી નથી . “
પુણિયાએ કહ્યું , “બસ ! આ જ તો સામાયિકમાં ચિત્ત સ્થિર ન રહેવાનું કારણ છે . એ અણહક્કના છાણાથી રસોઇ બનાવવામાં આવી એને પરિણામે આજે મન ડોલવા લાગ્યું ”
પુણિયાની પત્નીએ કહ્યું , “ છાણા તો રસ્તા પર પડ્યા હતા , તેનો કોઇ માલિક હોય તેવું પણ નહોતું .”
પુણિયાએ કહ્યું , “ છાણાનો કોઇ માલિક ન હોય તો તો રાજા એનો માલિક ગણાય.
આથી આપણે રજદ્રવ્ય લઈ આવ્યા ગણાઇએ . એટલે ત્યાં પાછા મૂકી આવજે . અણહક્કનું આપણને કશું ન ખપે ``
આ દેશ એ છે કે જ્યાં રસ્તા પર પડેલા અણહક્કના છાણા લેવામાં પણ અધર્મ ગણાતો હતો , ત્યાં આજે બીજાનું છીનવી લેવામાં પોતાની હોશિયારી ગણાય છે . પુણિયાનો દાખલો બતાવે છે કે સાચો શ્રાવક કેવો હોય અને એની આત્મજાગ્રુતી એને સતત જીવનશુધ્ધી તરફ કેવી રીતે દોરી જનારી હોય છે .
અરે યાર
Thursday, June 21, 2007
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment