Monday, September 25, 2006

મનુષ્યને મળેલી ઉત્તમ ભેંટ : સ્વતંત્ર વિચારશક્તિ અને વિવેકબુધ્ધિ

દરેક ચીજનો વેપાર કરનારી આપણી પ્રજાએ ધર્મને પણ નથી છોડ્યો. મંદિરોમાં પ્રભુની આરતી અને પ્રસાદના જુદાં જુદાં ભાવો નક્કી કરીને એનું પાટીયું મારવામાં આવે છે ! પ્રભુના ઘરમાં પણ પૈસાની બોલબાલા ! પુણ્યનો પણ ચડાવો થાય અને પૈસાદાર વધુ પૈસા ખર્ચીને વધુ પુણ્ય ખરીદે . આજના ધાર્મિક સ્થાનો પણ મોટા સ્થાપિત હિતો બની ગયા છે. એમની આવક અને મિલકત ઉપરથી એમની મહત્ત નક્કી થાય છે . માણસ માણસ વચ્ચે ધર્મની દિવાલ આવીને ઉભી રહી ગયી છે : ધર્મના સ્થાનો ઉપર ધર્મી ઓ એ અડ્ડો જમાવ્યો છે. આજના ધર્મ ઉપદેશકો પણ જનસંપર્ક અને પ્રચારના આધુનિક કીમિયા અજમાવે છે.અને ધર્મસ્થાનોને ફિલ્મી મનોરંજનની કક્ષાએ લઈ જઈ લોકરંજન કરે છે. આવી કથાઓ સાંભળવા જવું એ ફેશન બન્યુ છે. આપણા દર્દો નું ઓસડ ધર્મના એજન્ટો પાસે નથી, એ સત્ય આપણને ક્યારે સમજાશે ?
જો ધર્મસ્થાનો, પુજાપાઠો અને હોમહવનથી કલ્યાણ થતું હોત તો આપણા દેશમાં સ્વર્ગ ઉતર્યું હોત. સેંકડો સંપ્રદાયો અને પંથોવાળા દેશમાં શેરીએ શેરીએ ધર્મગુરુઓ ,સાધુઓ ,ફકીરો જોવા મળે છે.. ડગલે ને પગલે મંદિરો , મસ્જીદ જોવા મળે છે. નિતનવા સ્થળોએ ધુન-ભજનો થાય છે. કથા થાય છે. દર એક નવું કામ ધાર્મિક વિધીથી થાય છે. ભુમિપુજનની સાથે આપણે ચોપડાનું પણ પુજન કરીએ છીએ ! આવા દેશમાં ગરીબી અને ભુખમરો શા માટે હોય ? આવા દેશોમાં શા માટે વરસાદ જ ન પડે ? શા માટે કુદરત આપણી પર જ રુઠે છે ? આવા સામન્ય સવાલો આપણે આપણી જાતને પુછતા નથી , અને જેમ હતાશ થઈએ છીએ તેમ વધુને વધુ ધાર્મિક ક્રિયાકાંડો ને શરણે જઈએ છીએ. મોરબીનાં બધાં ઘરોમાં પ્રવેશતા પહેલા ભુમિપુજન કર્યું હતુ, અને ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ એ દિવસે દોઢસો લગ્નોનું મુહુર્ત નીકળ્યું હતું ! જન્મકુંડળી મેળવીને થતા લગ્નો પણ છ માસમાં તુટી જાય છે !
સ્વતંત્ર વિચારશક્તિ અને વિવેકબુધ્ધિ એ મનુષ્યને મળેલી ઉતમ ભેટ છે.પણ આપણે સ્વેચ્છાએ આપણી વિવેકબુધ્ધિ અને વ્યક્તિતાને ધર્મને ચરણે દઈએ છીએ. ગેલીલીયો અને કોપરનિક્સે પોતાની વિવેકબુધ્ધિ ધર્મને ચરણે ધરી દિધી નહોતી.એમ હોત તો ઔધોગિક ક્રાંતિનો પાયો જ ન મંડાત અને આપણે કોમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યા ન હોત. ધર્મ કશુંક પ્રાપ્ત કરવાનું સાધન કે માધ્યમ બની શકે પણ સાધ્ય કદી ન બની શકે.
રામ જન્મભૂમિ અને બાબરી મસ્જીદની ચિંતા અયોધ્યાવાસીઓને નથી, એટલી બહારના લોકોને છે ! જ્યારે આ પ્રશ્ને કેટલાંક શહેરોમાં ધર્મયુધ્ધ ખેલાઈ રહ્યું હતુ ત્યારે અયોધ્યામાં સંપુર્ણ શાંતિ પ્રવર્તતી હતી ! મસ્જીદ અને મંદિરમાં એકસરખો પથ્થર , સિમેન્ટ અને પાણી વપરાય છે...પણ ધર્મના ઠેકેદારો જતે દહાડે મુસલીમ પથ્થર અને હિન્દુ પથ્થરનું નિર્માણ કરશે ! ડોક્ટરને ત્યાં આવતાં દર્દીઓમાં મુસ્લિમ કેંસર અને હિન્દુ કેંસરનું વર્ગીકરણ હોતું નથી ! છતાં આપણે `પારસી મરણ અને `હિન્દુ મરણ ' જેવા લેબલ વડે મરણને ધર્મશુધ્ધ બનાવ્યું છે.
જેમ લસણના પચીસ પચાસ ગાંગડાનો અર્ક કાઢીને `લસોના' નામની એક કેપ્સ્યુલ બજારમાં મુકવામાં આવી, તેમ ધર્મના અને ધર્મગ્રંથોના ઉપદેશોનો અર્ક કાઢીને ભક્તોને આકર્ષક પેકીંગમાં ધરવામાં આવે છે. પાન સાદું અને મસાલાવાળું હોય એમ ધર્મગ્રંથો પણ મસાલાવાળ બહાર પાડે છે અને એ મુજબની એની કિમત નક્કી થાય છે. `ઇંસટંટ કોફી' ની જેમ `ઇંસટંટ ' પુણ્ય મેળવવા પડાપડી થાય છે. કોમ્પ્યુટર માણસનું ભાવિ ભાંખી આપે છે.ધર્મ આપણને `ફાસ્ટ ફોર્વર્ડ ' ની સગવડ આપવાનો દાવો કરે છે, પણ વાસ્તવમાં એ આપણા વ્યક્તિત્વને સતત `રિવાઇંડ' કરે છે અને પછી ` સુપર સ્ટીલ ' ની પોઝીશનમાં મુકી દે છે ચિત્ર આગળ પણ ન વધે અને પાછળ પણ ન જાય.
લોકો આવકવેરામાંથી મુક્તિ મેળવવા માટે ધર્મ સ્થાનોને દાન આપે છે. પૈસા આપીને પુણ્ય ખરીદીને એની પાકી પહોંચ મળે છે ધર્મ ગમે તેવું શક્તિશાળી દુરબીન બનાવે તો પણ એમાં સ્વર્ગ અને નર્ક દેખાવાના નથી ,એને માટે તો પરીકથા અને દંતકથાઓનો આશરો જ લેવો પડે.
રોજના નિત્યક્રમમાં ઘડિયાળના કાંટાની સાથે આપણે ધર્મના ક્રિયાકાંડોનુ પણ સાયુજ્ય રહ્યુ છે.આટલાથી આટલા વાગે પુજા કરવાની . બરાબર આટલા વાગે આરતી ઉતારવાની . ધર્મ અને આધ્યાત્મિકતા એ સમયના ચોકઠામાં ગોઠવવાની વસ્તું છે? અને મનુષ્યના મન અને મગજની સ્વાભાવિક સ્થિતિ સાથે કોઈ જ સંબધ નથી? એ ઓફિસમાં હાજરી આપવા અને સિનેમાના શો શરુ કરવા જેટલી ક્રુત્રિમ ચીજ છે?
ધર્મના નામે આપણે કેટલી મોટી માત્રામાં અધર્મ આચારીએ છીએ?બધાં પાપ ધર્મની શેતરંજીની હેઠળ છુપાઈને પડ્યા છે. આપણે શેતરંજી ઉપરથી બધું સાફસુથરી અને ચળકાટવાળી રહે એની આપણને સતત ચિંતા છે.ધર્મના આવા વરવાં અસ્તિત્વ છતાં સમાજ ટકી રહ્યો છે એ જ આશ્ચર્ય છે. આપણા સમાજ અને દેશમાં થયેલો આ રક્ત વિકાર છે.જુનાં મળને સાફ કરવા માટે આંતરડા સંપુર્ણ સાફ કરવા પડે છે. બૌધ્ધિકતારૂપી એનિમા લઈશું તો વૈચારિક સડો દુર શકીશું.
વિધી ધર્મ અને આચાર ધર્મ એમ ધર્મના પ્રકારમાથી આપણે આચારધર્મ અપનાવવો જોઇએ . દરેક ધર્મમાં કેટલાક પાયાના સિધ્ધાંતો એવાં હોય છે જે સાર્વત્રિક છે.એવા સિધ્ધાંતો તારવીને મનુષ્ય એના ઉપર અમલ કરતો થાય તો એ ઉત્તમ વ્યવસ્થા કહેવાય .આપણે અત્યારની તાતી જરૂરિયાત માનવધર્મની છે. મનુષ્યને જે ધારણ કરે તે સાચો ધર્મ. ક્રિયાકાંડમાંથી બહાર આવીને જે સાચો મનવધર્મ અપનાવે તે જ ઉતમ માનવ મોરારીબાપુએ હમણાં બારડોલીમાં જાણીતા વિચારક રમણ પાઠકના સુચનથી પ્રેરાઈને એક નવા પ્રકારની કથા કરી. આ કથાના ત્રણ કરોડ રૂપિયા એમણે જાજરૂ બનાવવા ભેંટ આપી દેધા છે. આમ કરીને એમણે ઉત્તમ દ્રષ્ટાંત પુરૂં પાડ્યું છે. આશા રાખીએ કે બીજા સંતો પણ એમનું અનુકરણ કરે.
પૂર્ણ

Thursday, September 21, 2006

મનુષ્યને મળેલી ઉત્તમ ભેંટ : સ્વતંત્ર વિચારશક્તિ અને વિવેકબુધ્ધિ

આપણે સતત રાત-દિવસ,ઊઠતાં બેસતા,આપણી ધર્મચિંતા,આપણી પરંપરાઓ ,આપણી પ્રાચીન સંસ્ક્રુતિના ગુણગાન ગાતા રહીએ છીએ. આપણી કહેવાતી સિધ્ધિઓ વિષે વારંવાર આપણે આપણી પીઠ થાબડીએ છીએ, અને આપણી જાતને પ્રમાણપત્ર આપતા રહીએ છીએ.પશ્ચીમની સંસ્ક્રુતિ પતિત છે. ત્યાં નૈઇક મુલ્યો નથી,આધ્યાત્મિક સુખ નથી ,મનની શાંતી નથી. આપણે ત્યાં ધર્મ છે, આધ્યાત્મિક્તા છે, મનની શાંતિ છે, એવી થીયરી નો પ્રચાર આપણે ઢોલ વગાડીને વર્ષોથી કરતા આવ્યા છીએ, આપણા ગામો અને શહેરોમાં સતત નવા મંદિરો,દેરાસરો ઊભા થતા રહે છે, એના ઉદ્ઘાટન સમારંભો યોજાય છે,એના ઊપર વિમાનોમાંથી પુષ્પ્વ્રુષ્ટિ કરવામાં આવે છે.ધાર્મિક શોભાયાત્રાઓ અને શતાબ્દીઓ અને દ્વિશતાબ્દિઓ પાછળ પણ અઢળક ધન ખર્ચાય છે, હવે તો સરકાર પણ એમાં જાહેર તંત્ર અને સગવડો આપે છે.
આવી ધાર્મિક્તાના જાહેર પ્રદર્શનના પડદા પાછળ આપણે ત્યાં કેવો અધર્મ સતત બિનરોકટોક, બેશરમ રીતે ચાલે છે ? કુરિવાજો , ક્રુરતા ને ધર્મના નામે આપણે સરક્ષણ આપીએ છીએ.દરેક પ્રકારની કુરુઢિને પરંપરા અને ધર્મના આદેશનું કવચ ઓઢાડી દઈએ છીએ.કોઈ સ્ત્રીને પતિના મ્રુત્યુ પછી એની સાથે જ જીવતી સળગાવી દેવામાં આવે અને એની સાથે ધાર્મિક આસ્થાને જોડી દેવાય એટલે પત્યું ? કોઈ સ્ત્રીને એનો પતિ ત્યજી દે છતાં ભરણપોષણ મળતું હોય તો અમાનવીય રીતે બંધ કરી દેવામાં આવે, અને એની પાછળ ધર્મના આદેશનું બહાનુ ધરવામાં આવે. ધર્મના નામે જાહેર -જમીન મિલ્કતો ઉપર પેશકદમી કરવાની છુટ . ધર્મના નામે રસ્તાની વચ્ચે બધાને નડે એ રીતે કોઈ ધર્મસ્થાન ઊભું કરી શકાય. ધાર્મિક પર્વોને ઉજવણીના નામે ઘોંઘાટ અને કોલાહલ સર્જી શકાય . આખા રસ્તાઓ પણ બંધ કરી શકાય.
આપણે માણસ સિવાય દરેક પ્રાણીને પુજીએ છીએ. પથ્થરને પણ પુજીએ છીએ. એક પશુની હત્યા થાય એટલે આખા ગામમાં તંગદિલી ફેલાય ,એને પગલે જે તોફાનો ફાટી નીકળે એમાં થોડા માણસો મરે ત્યારે એ તંગદિલી હળવી થાય ! ધર્મ પ્રગટ્યો ત્યારે એક વિધાયક ઘટના તરીકે પ્રગટ્યો હતો આજના વિશ્વામાં ધર્મ જેવી નકારાત્મક ઘટના કોઈ નથી. ધર્મે માણસમાં રહેલા એના પોતીક વ્યક્તિત્વને મારી નાખ્યો. એના સ્વત્વને હણી લિધું. એની ખુદ્દારી અને ખુમારીને ખતમ કરી નાખી.કદાચ એટલે જ ગાલિબે કહ્યું હતું ` બંદગી મેરા ભલા ન હુઆ '.
જે દેશમાં રિજ -રોજ ધર્મને નામે ક્યાંક ને ક્યાંક બે-પાંચ માણસોને મારી નાખવામાં આવે ,એ દેશને ધાર્મિક કહેવડાવવાનો અધિકાર ખરો ? જે દેશમાં દરરોજ કોઈને કોઈ ખુણે પોલીસ ગોળીબારમાં બે-પાંક માણસો મરી જતાં હોય, એ પ્રજાને પોતાને શાંતિપ્રિય તરીકે ઓળખવવાનો અધિકાર ખરો ? આપણી કહેવાતી આધ્યાત્મિક્તા તો હવે મશ્કરી નો વિષાય બની ગઈ છે. પશ્ચીમના લોકો કરતા પણ આપણે વધુ સંપતિપ્રિય અને ભૌતિકવાદી છીએ. એમ ન ઓઅ તો આધ્યાત્મિક્તાની માળા જપતાં અમેરિકા તરફ સામુહિક દોટ ન મુકત. આપણા લોકો લાખોની સંખ્યામાં અમેરિકા અને અખાતના દેશોમાં જાય, એને ભુલાવી દઈને ત્યાંથી બે-પાંચ માથા ફરેલાં લોકો આપણા દેશમાં આવીને કોઈ ધર્મગુરુના ચેલા બને ત્યારે આપણે આપણી આધ્યાત્મિક્તાનું ગર્વ લેવા માંડીએ છીએ ! પણ એ ધર્મગુરુ પોતે એરકંડીશન મશીન ,રેફ્રીજરેટર અને ટેલીવીઝનની સંસ્ક્રુતિમાં રાચતા હોય છે. ! એમને ધર્મનો પ્રચાર કરવા માટે પશ્ચીમના બધાં ભૌતિક સાધન સગવડોની ગરજ રહે છે ! વિડિયો ઉપર કથા સાંભળીને મેળવેલું પુણ્ય કેટલું તકલાદી ગણાય !


ક્રમશ :

Wednesday, September 13, 2006

પ્રાર્થનામાં અદભુત બળ છે

સામાન્ય રીતે પ્રત્યેક જૈન-ધર્મી દરરોજ મંદિરમાં જઈ ભગવાનની સ્તુતી-પ્રાર્થના કરતો હોય છે.શાસ્ત્રોમાં શાંતિ,સ્વસ્થતા અને આત્મ કલ્યાણ સાધવાનુ શ્રેષ્ઠ સાધન ભક્તિને ગણાવી છે.પ્રજ્ઞાવંત આચાર્યોએ ભક્તિના નવ પ્રકારો કહ્યા છે.

'' શ્રવણ કીર્તન,ચિંતવન,વંદન,સેવન,ધ્યાન /
લઘુતા સમતા એકતા,નવધા ભક્તિ પ્રમાણ //

આ નવ પ્રકારોમાં લઘુતા-દાસત્વ નામનો જે પ્રકાર બતાવ્યો છે તે પ્રાર્થના છે, સ્તુતિ છે. પ્રાર્થના ના શબ્દોમાં ભક્ત પ્રભુની મહાનતા અને પોતાની પામરતાનું ગાન કરતો હોય છે. સાચી સાધનાનો માર્ગ દીર્ઘ અને વિકટ છે. આવી સાધનામાં જ્યારે નિરાશા -હતાશા સાંપડે ત્યારે ‘પ્રાર્થના સાધકને પરમ ઉપકારી નીવડે છે. ઊંઘવાથી માણસને ઉત્સાહ અને આરામ મળે છે , પ્રાર્થના થી મનને આરામ અને ઉત્સાહ મળે છે , ભોજનથી શરીરને પોષણ મળે છે જ્યારે પ્રાર્થનાથી મનને પોષણ મળે છે . નહાવાથી શરીર સાફ થાય છે જ્યારે પ્રાર્થનાથી મન ચોખ્ખું થાય છે .આ રીતે પહેલાં ત્રણથી શરીરને ફાયદો થાય છે અને પ્રાર્થનાથી મનને ફાયદો થાય છે .
જેમ પરીક્ષાની તૈયારી પરીક્ષા પહેલાં કરવી પડે, લડાઇની તાલીમ લડાઇ પહેલાં લેવી પડે, તેમ પ્રાર્થના કરવાની લાયકાત પ્રાર્થના પહેલાં કેળવવી જોઈએ. પ્રાર્થના એ જીવન સાથે સંકળાયેલી છે. પ્રત્યેક જીવન કંઈને કંઈ ખામીઓ, નબળાઈઓ,દુષણો ,કલંકોથી ખરડાયેલું હોય છે. એટલે પ્રાર્થના સુધારવી હોય તો પહેલાં જીવન સુધારવું જોઈએ. જીવનમાં શાંતિ ન હોય તો પ્રાર્થનામાં શાંતી ક્યાંથી આવે? જીવનમાં સંયમ ન હોય તો પ્રાર્થનામાં ધ્યાન ક્યાંથી આવે ? જીવનમાં વિલાસ હોય તો પ્રાર્થનામાં વિજય ક્યાંથી મળે ?
અહમને ત્યજી , માત્ર મોક્ષની અભિલાષાથી પ્રેરાઈને હ્રદયના ઊંડાણમાંથી પ્રાર્થના કરવામાં આવે તો પરમાત્મા , તે પ્રાર્થના અવશ્ય સંભળે છે. આ માટેનું પ્રસિધ્ધ ઉદાહરણ શબરી છે. શબરીની પ્રાર્થના મોડે મોડે પણ પ્રભુએ સાંભળી અને શ્રીરામ તેમની ઝુંપડીએ પધાર્યા. દ્રૌપદી પણ રાજ્યસભામાં જ્યારે સર્વથા અસહાય બની અને ભગવાનનું શરણુ લીધું ત્યારે તેના ચીર પુરાયાં. નરસિંહ મહેતા, ભક્ત પ્રહલાદ, મીરાં વગેરે ભક્તોની પ્રાર્થના પ્રભુએ અવશ્ય સાંભળી છે. પ્રાર્થનામાં અદભુત બળ રહેલું છે. સતી સાવિત્રીની પ્રાર્થના સાંભળી યમરાજ પણ પીગળી ગયા હત. નરસિંહની પ્રાર્થના સાંભળીને શ્રીકૃષ્ણે કુંવરબાઈનું મામેરું કર્યુ હતું. ખુદાની બંદગી કરીને તેના પુત્ર-હુમાયુ ની જીંદગી બચાવી શક્યો હતો. આમ પ્રાર્થના તો નવજીવનની સંજીવની છે. થાકેલાઓનો વિસામો અને હતાશાની આશા છે. પ્રાર્થના પાવનકારી કલ્યાણકારી છે. જીવને ઉમદા બનાવવા માટે પ્રાર્થના શ્રેષ્ઠ ઔષધ છે. સામુહિક પ્રાર્થના દ્વારા અનેક મુશ્કેલીઓ સામે ટકવાની જબરદસ્ત નૈતિક હિંમત પેદા થાય છે. પ્રાર્થનામાં માણસ નમે છે , ઝુકે છે, પોતાની અલ્પતાનો સાચા મને સ્વિકાર કરે છે તેનાથી પ્રાર્થના મહાન બની જાય છે. ગદ ગદ કંઠે થયેલી પ્રાર્થના મનુષ્યના સમગ્ર ચેતા-તંત્રને કંપાયમાન કરી નાખે છે. આ શુભ પ્રસંગે ઉઠતા સુક્ષ્મ તરંગો ઘણા શક્તિશાળી હોય છે. પ્રાર્થના માનવીને પ્રેમાળ, પરોપકારી, દયાળુ અને નિ:સ્વાર્થી બનાવે છે. મુસલમાનો નમાજ પઢે છે તો ખ્રિસ્તીઓ તેમના ચર્ચમાં મુખ્યત્વે પ્રાર્થનાઓ જ કરતા હોય છે.
આચાર્યો એ શાસ્ત્રોમાં પ્રાર્થના કરનારની ચાર શ્રેણી બતાવી છે (1) અર્થાર્થી (2) આર્ત (3) જિજ્ઞાસુ (4) જ્ઞાની
અર્થાર્થી :- આવી પ્રાર્થના કરનાર ભક્ત નીચી કક્ષાનો ગણવામાં આવે છે. કારણકે આમા ભક્ત નીજી સ્વાર્થ પ્રાર્થના કરતા હોય છે. ભગવાન પાસે કંઈક માગવાની અપેક્ષાએ પ્રાર્થના કરવાથી ઉત્તમ વસ્તુ કદી ન મળે.
આર્ત :- આ ભક્ત નવી સંપત્તિ કે બીજા કોઈ સાંસારિક વૈભવને ઈચ્છતો નથી પરંતુ પ્રાપ્ત ઐશ્વર્યનો વિયોગ સહન કરવાની તેનામાં શક્તિ નથી તેથી તેની રક્ષા અર્થે પ્રાર્થના કરે છે. સાંસારિક બાબતો માંગનાર આર્ત છે.
જિજ્ઞાસુ :- પરમાત્મપદ પ્રાપ્ત કરવા માટેના જ્ઞાનની પ્રાપ્તીની તેની ઈચ્છા છે માત્ર મોક્ષની અભિલાષા હોય છે આવો ભક્ત ઉચ્ચ કોટીનો ગણાય છે.
જ્ઞાની :- આ સર્વોત્તમ ભક્ત છે. આવા ભક્તો તો કોઈ અપેક્ષાએ પરમાત્મપદ પ્રાપ્ત કરી લીધું હોય છે. તેની ભક્તિરૂપિ પ્રાર્થના અહૈતુકી,નિ:સ્પ્રુહ,નિ:સ્વાર્થ અનન્ય અને પ્રસંશનીય છે.
તો ચાલો આપણે મોક્ષપદની પ્રાપ્તિ અર્થે ,પરમાત્માની પ્રાપ્તિ માટે , આત્મામાંથી પરમાત્મા અને જીવમાંથી શિવ બનવા હ્રદયના ઊંડાણમાંથી , સમ્યક પ્રકારે ,સાચા દિલથી શુભ ભાવે પ્રભુની પ્રાર્થના કરીએ.

Wednesday, September 06, 2006

મિચ્છામિ દુક્કડમ

સર્વે વાચકોને મારા તરફથી મિચ્છામિ દુક્કડમ

Monday, September 04, 2006

નવકાર મહામંત્ર

મંત્રશિરોમણિ શ્રી નમસ્કાર મહામંત્ર એ જૈનોનો મંત્ર છે. એને નવકારમંત્ર અથવા મંત્રાધિરાજ કહેવામાં આવે છે. આ મંત્રમાં પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. જગતમાં સામન્યપણે જેમાં ૐ , હ્રીં,શ્રીં, કલીં આદી બીજાક્ષરો હોય તેને મંત્ર કહેવાય છે . શ્રી નવકારમંત્રમાં તેવા કોઈ બીજાક્ષરો નથી. તો તેને મંત્ર કે મહામંત્ર કેમ કહેવાય ? એવી શંકા મનમાં ઉદભવે તે સ્વાભાવિક છે. તેનો જવાબ એ છે કે , તમામ ધર્મોના તમામ મંત્રોમાં ૐ તો હોય છે જ, પરંતુ નવકારમંત્રમાં આગળ ૐ લગાડવામાં નથી આવતો, કારણકે ૐ ઉત્પત્તિ જ નવકારમંત્રથી થઈ છે. નવકારમંત્રના પહેલા પાંચ પદના પ્રથમ અક્ષર લેતાં, " અ, સિ, આ, ઊ, સા, " એવું મહદભૂત વાક્ય નીકળે છે. જેનુ ૐ એવું યોગબિન્દુનું સ્વરૂપ થાય છે.તેમાંથી પ્રણવ, અહં વિગેરે બીજાક્ષરોની ઉત્પત્તિ છે. જેવી રીતે લાઈટ, પંખા, ફ્રીજ વિગેરેને ચાલુ કરવા માટે જનરેટરની જરૂર પડે છે. પરંતુ જનરેટરને ચાલુ કરવા બીજા જનરેટરેની જરૂર પડતી નથી, તેવી રીતે બીજા મંત્રોની શરુઆતમાં ૐ બોલવામાં આવે છે, પરંતુ નવકારમંત્રની શરુઆતમાં ૐ બોલવાની જરૂર પડતી નથી. તે સ્વયં જ ૐ નો કારક છે. ૐ, હીં, શ્રીં, કલીં, એ બધી મંત્રશક્તીની સ્વીચો છે, જેનાથી બીજા અક્ષરોમાં મંત્રશક્તીના પ્રવાહને પ્રસારીત કરી શકાય છે, પરંતુ શ્રી નવકારમંત્ર તો સ્વયં સંચાલિત,શાશ્વત, અનાદી, શુધ્ધ ચૈતન્યશક્તિના પ્રવાહથી ભરપૂર અને અચિંત્યચિંતામણી મંત્ર છે.
રતન તણી જેમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ્ય,
ચૌદ પૂરવનો સાર છે, મંત્ર એ તેહને તુલ્ય.
એટલે જેમ રત્નની પેટીનું વજન બહુ ઓછું હોય છે, પરંતુ તેની કિંમત ઘણી હોય છે, તેમ નવકારમંત્ર નાનો હોવા છતાં અમૂલ્યરતન સમાન છે. નવકારમંત્રના શબ્દોના વિવરણનું પણ વિવરણ કરવા જઈએ તો ચૌદ પૂર્વ જેટલું થાય, તેથી તેને ચૌદપૂર્વનો સાર કહ્યો છે. આ મહામંત્ર પોતે સંપૂર્ણ છે. જગતના સર્વ મંત્રોને એક પલ્લામાં અને નવકારમંત્રને બીજા પલ્લામાં મૂકવામાં આવે તો નવકારમંત્રનું જ પલ્લું નીચે નમશે.
અરિહંત, અશરીરી,આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ ( સાધુ) એ પાંચનો પહેલો અક્ષર એટલેકે અઅઆઉ મ લઈ સંધિ કરવાથી ઓમ ( ૐ) બને છે. ૐ એ દરેક મંત્રનો પ્રારંભ કરનાર શબ્દ છે. બીજ મંત્રોથી કાર્ય સિધ્ધિ થાય છે. તેનુ કારણ એ છે કે તેમની શરૂઆતમાં ૐ આવેલો છે. જો એ ૐ ને દૂર કરી દઈએ તો પછી એ મંત્ર મંત્ર નહી રહે, માત્ર શબ્દો જ રહી જશે.
નવકારમંત્રના કુલ અડસઠ અક્ષરો છે. જે અડસઠ તીર્થનું સુચન કરે છે. કલ્પવ્રુક્ષથી પણ અધિક મહિમાવાળા આ મહામંત્રના પ્રત્યેક અક્ષર ઊપર એક હજાર અને આઠ વીધ્યાઓ રહેલી છે, અને એક એક પદના એક હજાર દેવો છે. નવકારમંત્રના નવ પદ છે. પ્રથમ પાંચ પદના 35 અક્ષરો છે. અને બાકીના ચાર પદના 33 અક્ષરો છે. આમ કુલ 68 અક્ષર થાય છે. આ અક્ષર શું સૂચવે છે ? 68 ના અંકને જોઈએ તો 68 એટલે 6 અ 8 ઈં 14 જ થાય.
લોકાધાર- અંક-15 માંથી સાભાર

પર્યાય અને ક્રમબધ્ધ પર્યાય

આચાર્ય ભગવંતોએ જે શાસ્ત્રોની રચના કરી છે તે શાસ્ત્રોમાં કોઈ પણ વાત જીવના ફાયદા વગર લખી કે કહી નથી.જીવના કલ્યાણનો ઊદેશ એમાં ગર્ભિત રીતે હોય જ છે. આપણને વિચાર આવે કે પર્યાય અને ક્રમબધ્ધ પર્યાયનાં વિષયને જાણીને આપણો શું ફાયદો ? જે થવાનું છે એ તો થવાનુ જ છે તો એમાં આપણું હિત ક્યાંથી આવ્યું? આતો ફક્ત નિયતીવાદ અને નિશ્ચયવાદની વાતો છે.

શાસ્ત્રમાં કહ્યું છે કે જો તુ પર્યાય અને ક્રમબધ્ધ પર્યાયની શ્રધ્ધા કરીશ તો તારો કર્તાભાવ તૂટશે અને અકર્તાપણું પ્રગટ થશે.

જો આપણી શ્રધ્ધામાં એ વાત બેસી જાય કે જે થવાનું છે તે જ થયું છે, અને તે થવુ નક્કી જ હતુ.આપણે ધારત તો પણ એમાં કોઈ ફેરફાર કરવાને સમર્થ નહોતા તો જે પણ વસ્તુ ઘટી કે સંજોગો બન્યા તેને આપણે સહજતાથી સ્વીકારી લેશું.સમભાવે, સમદર્શી બની, સમાધિથી જે થયું છે તેને અંગિકાર કરી લેશું સમભાવે, સમદર્શી બની, સમાધિથી જે થયુ છે તેને અંગિકાર કરી લેવુ એ જ ક્રમબધ્ધ પર્યાય અને પર્યાયના વિષયનો આપણને સંદેશ છે. તુ કોઈ વસ્તુનો કર્તા નથી.કોઈ વસ્તુમાં ફેરફાર કરી શકવાનો નથી જે થયું છે તેનો ફક્ત જ્ઞાતા દ્રષ્ટા છે, જોવા અને જાણવા સિવાય બીજી કોઈ બાજી તારા હાથમાં નથી.

દ્રવ્ય ,ઉત્પાદ,વ્યય,ધ્રુવ સહિત છે. સમયે સમયે નવી પર્યાય ઉત્પન થાય છે અને જુનાં પર્યાયનો વ્યય થાય છે. આમ અવસ્થા બદલાયા કરે છે. છ દ્રવ્યોનું બનેલું આ વિશ્વ સતત પરિવર્તંશીલ છે. આથી એમ સમજાય કે જે આજે છે એ કાલે રહેવાનું નથી અને જે કાલે હતું એ આજે નથી. આજે પૈસો છે તો કાલે કદાચ નહી હોય તો આ મળેલા સંજોગોમાં તુ હર્ષ અને શોક નહી કર. કારણકે આ પરિવર્તન છે.પર્યાય સમજાવે છે કે સંસારનું નામ જ પરિવર્તન છે. પત્ની,પુત્ર,ઘર,મિલકત, મળેલા સંજોગો એ બધું અનિત્ય છે.અને એ પોતાના કાળે છુટી જ જવાનું છે કારણકે તે અનિત્ય છે માટે તેમાં રાગ દ્વેષનાં પરિણામો ન કર.

ક્રમબધ્ધ પર્યાયનો મુખ્ય સંદેશ એ છે કે જે પણ થાય છે તે તારા બાંધલા કર્મના નિમિત્તે થાય છે. જૈન દર્શનમાં કોઈ ઇશ્વર આ જગત નો સંચાલક હોય તેવી તો વ્યવસ્થા જ નથી. તારા પોતાના દોષોથી ,તારા કર્મોથી તું બંધાય છે અને હવે જે તારો પુરુષાર્થ હશે તે પ્રમાણે નવા કર્મો બંધાશે અથવા છુટશે.જ્યારે મંદકષાય થવાના હશે ત્યારે તેવો પુરુષાર્થ ઉપડશે,આત્મ સન્મુખ થવાનુ હશે તો તેવો પુરુષાર્થ ઉપડશે કેમ કે એ તારી ક્રમબધ્ધ પર્યાયમાં નક્કી થયેલું છે.

ક્રમબધ્ધ પર્યાય આપણને એ જ સંદેશો આપે છે કે હતાશ ન થા. દરેક નવો દિવસ તાર માટે નવો સંદેશો લઈ આવે છે.અત્યાર સુધી કાંઈ પણ આખા જીવનમાં ન થઈ શક્યું હોય તો પણ કાંઈ મોડુ નથી થયું.જાગ્યા ત્યાંથી સવાર. It is never too late. અનંતકાળથી તેં જે નથી કર્યું તે તું કરી પણ શકે છે.

આશા ન છોડ. આજ સુધી ધર્મ નથી કર્યો તો કાલે નહીં કરી શકે એવું નથી.વાર ફક્ત તારો પુરુષાર્થ ઉપાડવાની છે.આજ પર્યાય અને ક્રમબધ્ધ પર્યાયનો આપણા માટે બોધ છે, સંદેશ છે.

લોકાધાર અંક 15 ઓગસ્ટ 2006 માંથી સાભાર