Friday, May 25, 2007

યુવાનો આટલું તો જરૂર કરો.


1. સાદો , સાત્વિક અને પૌષ્ટિક ખોરાક પસંદ કરો.

2 . ટાપટીપ અને ક્રુત્રિમ હાવભાવનો ત્યાગ કરો.

3 . જીવનમા શુધ્ધ શાકાહારને અપનાવો અને બીડી જેવા વ્યસનોથી સદા મુક્ત રહો.

4 . માત્ર પુસ્તકીયા માહિતીને માથામાં ભરવા કરતાં માનવતાના મીઠા અનુભવોથી મગજને હંમેશા તરબોળ રાખી તાજું રાખ્યા કરો.

5 . મહિલામાત્રમાં વાત્સલ્યમયી અમે અમીભરી માત્રુશક્તિને નીરખવા મથો અથવા નેત્રોને નીચાં ઢાળી ચાલવાની સુટેવ પાડો .

6 . હલકું સાહિત્ય વાંચવા કરતાં સારા ગ્રુહસ્થાશ્રમી બનવા શાસ્ત્રો વાંચો અને વિવેક કરી નાની - મોટી ભૂલ માત્રથી સાવધાન થાઓ .

શ્રી સંતબાલજી

Thursday, May 24, 2007

જ્ઞાનીને મરણનો ભય શાનો ?


શ્રી પંડિત ટોડરમલજીની અનોખી વિદ્વતાથી કેટલાક લોકો ઇર્ષ્યાગ્નિમાં બળતા હતા , કારણ કે જયપુરના મહારાજા પાસે એમની ખૂબ પ્રતિષ્ઠા હતી . તેથી કેટલાક દ્વેશી પંડિતોએ ષડયંત્ર રચીને પોતાના ધર્મ - અપમાનનો એમના પર આરોપ ઠોકી બેસાડ્યો . જયપુરના મહારાજાએ પણ સાંપ્રદાયિક્તાને વશ થઈને એમને હાથીના પગ નીચે કચડી નાખવાનો મ્રુત્યુદંડ જાહેર કર્યો . નિર્દોષ પંડિતજીને મદોન્મત્ત હાથીની સામે બેસાડી દીધા . જ્યારે મહાવત હાથીને આગળ ધપાવવા ઇચ્છતો ત્યારે હાથી પગ તો ઉઠાવતો , પરંતુ એમના પર પગ નો`તો મૂકતો . મહાવતના મારથી હાથી લોહીલુહાણ થઈ ચિચિયારી પાડતો હતો . જોઇને પંડિત ટોડરમલજીએ હાથીને કહ્યું , `` ગજરાજ ! શું કરી રહ્યા છો ? શું ન્યાય તમારા હાથમાં છે ? તમે તમારું કર્તવ્યપાલન કરો . આટલું સાંભળી હાથીએ તેમના પેટ પર પગ મૂકી દીધો અને એમનું પ્રણપંખેરુ ઉડી ગયું.

Wednesday, May 23, 2007

જીવનના રંગ


કલમની
ખોળે માથું મૂકીને સતત સાહિત્યોપાસના કરનાર કવિ નર્મદના ઘરમાં એવા દિવસો આવી પહોંચ્યા કે ઘરમાં પેટ પૂરતું ખાવા અનાજ પણ હોય નહી .

નર્મદ તો લખવામાં મસ્ત ! ઘરનું ગાડું કેમ ચાલે છે તેની એમને કોઈ ચિંતાજ નહી ! ઘરનો બધો વ્યવહાર એમનો રસોઇયો નરભેરામ ચલાવતો હતો .

એક વાર કવિ નર્મદ કશુંક લખી રહ્યા હતા , લખતાં લખતાં ખાવાનો સમય થયો , એટલે લખવાનું પડતું મૂકી રસોડામાં આવ્યા . નરભેરામને કહેવા લાગ્યા , `` નરભેરામ ! બોલો ! આજે રસોઇમાં શું રાંધ્યું છે ?

નરભેરામે જવાબ આપવાને બદલે મોઢું નીચું કરી દિધું !

જોઇને કવિએ પૂછ્યું , `` તું જવાબ આપવાને બદલે નીચું કેમ જોવે છે ?

નરભેરામે પોતાનું મોઢું ઊંચુ કર્યું . તેની આંખો આંસુથી ઉભરાઇ હતી . તે બોલ્યો , `` ઘરમાં આજે અનાજનો એક દાણો નથી . `` તો એમ વાત છે ! `` હા ! આપણી સંપત્તિ ગણો કે મિલકત ગણો , તે પાવલી છે !

`` વાહ ! પાવલી તો છે ને ? જા , બજારમાં જઇને પાવલીનું જે કાંઇ આવે તે ખાવાનું લઇ આવ .

નરભેરામ બજારમાં ગયો અને બે આનાનું દૂધ અને બે આનાના પૌંઆ લઇ આવ્યો.

દૂધપૌંઆ આરોગતા આરોગતા નર્મદે નરભેરામને કહ્યું , `` આને પણ જીવનનો એક રંગ જાણ ! કુદરત આપણને જીવનના બતાવે તે જોવા જોઈએ . એમાં કદી હતાશ થવું ઘટે ! મોજથી કપરાં સંજોગોને પણ વધાવી લેવા જોઈએ .

દૂધપૌંઆ આરોગીને વળી પાછું નર્મદે લખવાનું શરૂ કર્યું .

Friday, May 18, 2007

તમે દરરોજ ઊનું જમો છો કે ટાઢું ?

ભવ્ય , મનોહર અને કલામય દેલવાડાનાં જિનમંદિરો મંત્રી વસ્તુપાળ અને એમના પત્ની અનુપમા દેવીની કીર્તિગાથા આજેય કહે છે . ગિરિરાજ આબુ પર આવેલ લુણિગવસહી નામના મનોહર પ્રાસાદમાં દંપતીની ધર્મભાવનાઓનો ઉદ્ઘોષ કરે છે .

મંત્રી તેજપાળના ઘેર મુંજાલ મહેતા નામના નામું-ઠામું લખનાર વડીલ હતા . વર્ષોથી પરિવારમાં હોવાથી કુટુંબીજન બની ગયા હતા .

એકવાર મુંજાલ મહેતાએ મંત્રી તેજપાળને વિચિત્ર પ્રશ્ન કર્યો . એમણે પૂછ્યું , `` અરે મંત્રીરાજ ! મને કહેશો ખરા ? તમે ઊનું જમો છો કે ટાઢું જમો છો ?

મંત્રી તેજપાળને પ્રશ્ન સમજાયો નહી . એમણે કહ્યું , `` મહેતાજી , તમે શું કહો છો અને શા માટે કહો છો તે હું સમજી શકતો નથી . જરા ફરી કહો તો બરાબર સમજાય .

મુંજાલ મહેતાએ કહ્યું , `` મારે જાણવું છે કે તમે અગાઉ બનાવેલું ભોજન જમો છો કે પછી નવું તાજું ભોજન ખાવ છો ?

મંત્રી તેજપાળને પ્રશ્ન ઢંગધાડા વગરનો લાગ્યો . બીજ લોકોને થયું કે વીર યોધ્ધા અને રાજનીતીમાં કુશળ એવા વસ્તુપાળને આવો વાહિયાત પ્રશ્ન કરાતો હશે ?

આમ છતાં વસ્તુપાળે વિનયથી મુંજાલ મહેતાને કહ્યું , `` તમારો પ્રશ્ન મને સમજાતો નથી . એનો સંદર્ભ સ્પષ્ટ કરો તો ખ્યાલ આવે .

મુંજાલ મહેતાએ કહ્યું , `` આજ સવારે ધર્મસ્થાનમાં ગયો હતો . સાધુ મહારજ સાથે આપના વિશે વાત નિકળી . તેઓને જાણવું છે કે આપ રોજ ઊનું જમો છો કે ટાઢું ?

મંત્રી વસ્તુપાળ વિચારમાં પડી ગયા . નક્કી સાધુ મહારજની વાતમાં કોઈ સંકેત હોવો જોઈએ . મુંજાલ મહેતાએ સંકેત સ્પષ્ટ કરતાં કહ્યું , `` તમે જે કંઈ વૈભવ ભોગવો છો તે તો તમારા પૂર્વ જન્મની કમાણી છે . સવાલ છે કે આપ માત્ર ટાઢું ખાઈને બેસી રહો છો કે પછી જન્મ માં પુણ્યની નવી કમાણી કરીને ઊનું જમો છો ?

માનવી જ્યારે ટાઢું જમતો હોય છે ત્યારે ભાગ્યેજ ઉનું જમવાનું વિચાર કરતો હોય છે . પોતાની વર્તમાન સુખ , સંપત્તિ અને સાહ્યબીમાં એટલો ગળાડુબ બની જાય છે કે તે આવતી કાલનો વિચાર કરતો નથી . માત્ર આજને સર્વસ્વ માનીને ચાલે છે .

નવું તાજું ભોજન થાય તો જુનું ભોજન કેટલું ચાલે ? થોડાં સમયમાં જૂનું ભોજન ખૂટી પડતા ખાવાના સાંસા ઉભા થાય છે . આથી માનવીએ પોતાની જાતને સવાલ પૂછવો જોઈએ કે ટાઢું જમે છે કે ઊનું ?

Thursday, May 17, 2007

સાચી દીપાવલી કેમ ઉજવીશું ?


પ્રિય મિત્રો ! નૂતન વર્ષના તમોને સૌને હાર્દિક અભિનંદન . સમય તો અવિરતપણે વહ્યે જ જાય છે . સમયના પ્રવાહની સાથે ચાલનાર વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે . વેપારીઓ તો આખા વર્ષનો હિસાબ માંડીને ભૌતિક નફા - તોટાનો હિસાબ કરશે , પણ આપણે જીવનનો હિસાબ માંડીશું ખરા ? કેટલા સદ્ગુણોનો નફો થયો અને કેટલા અવગુણોની બાદબાકી થઈ એનો નૂતન વર્ષે વિચાર કરવો જોઈએ .


``આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું ,

કેટલી કમાણી કરી કેટલું છે દેવું;

કાઢી સર્વૈયુ કોઈ સંતને બતાવજો ,

આ જીંદગીના ચોપડામાં સરવાળો માંડજો . "


દીપાવલી પણ એ જ પ્રકાશનું પર્વ છે , પણ ખરેખર આપણે હ્રદયમાં પ્રકાશનું કિરણ પામ્યા છીએ ખરા ? દિવાળીએ ઘરનો કચરો તો કાઢીએ છીએ , પણ અંતરના ખૂણેખાંચરેથી દુર્ગુણોનો કચરો કાઢીએ છીએ ખરા ? બહારમાં તો મનમોહક રંગોળી કરીએ છીએ , પણ અંતરમાંથી વેરઝેર ની ભાવના દૂર કરી સદ્ભાવનાના રંગો ભર્યા છે ખરા ? મીઠાઈનો સ્વાદ તો માણીએ છીએ , પણ આત્માની શાંતિનો સ્વાદ ચાખ્યો છે ખરો ? દીપાવલીના દીવા બહારમાં તો પ્રગટાવીએ છીએ , પણ હ્રદયમાં વરસોવરસના કાળા અંધકારના થર પર થર બાઝી રહ્યા છે તેનો વિચાર કદી કર્યો છે ખરો ?


તો ચાલો , નૂતન વર્ષે આપણે હ્રદયમાં અજ્ઞાબરૂપી અંધકાર દૂર કરનાર જ્ઞાનરૂપી દીવો પ્રગટાવવાનો તથા જીવનને સદ્ગુણોની સુવાસથી મઘમઘતું બનાવવાનો સંકલ્પ કરીએ .


મિતેશ એ . શાહ

Wednesday, May 16, 2007

જીવન એ જ પારસમણિ

તમે તમારી સ્વ-અગત્યતા વધારી ન દેતા , ધન , કીર્તિનો ઢગલો ન કર્યા કરતા . કોઇ કોઇ વાર અંતરંગમાં નિતાંત ખાલી થઈ જાઓ . તમારી સંપત્તિ , વૈભવ , હોદ્દો , મોભો , પત્ની , સંતાન , મિત્રો , કશુંય તમારું નથી એમ સમજી ક્યાંય બીજે રહી જુઓ . બહિરંગમા તમારે થોડા કપડાં , મૂઠી ચોખા અને ઝૂંપડી જોઈશે . સાફલ્યના મ્રુગજળ પાછળ દોડ્યા ન કરતા . તે કશું નથી. બધો અહમનો પ્રસાર - પ્રચાર માત્ર છે . સ્વ- કેન્દ્રિત પ્રવ્રુત્તિની સાંકડી શેરી છે.

પંદર ઓરડાના બંગલામાં તમારે એકમાં જ સૂવાનું છે , પચ્ચીસ જોડ કપડામાંથી એક જ પહેરવાની છે , અનાજના કોઠારમાંથી મૂઠી ધાન ખાવાનું છે અને નોટોના બંડલમાંથી છેવટે તમે ઈશ્વર પાસે શું લઈ જશો ? તમારે જોઈએ તેના કરતાં વધારે સંગ્રહ કરી , તમે તમારા અનેક ભાઈભાંડુને ભૂખે રઝળાવો છો . તમારી દંભી મંઝિલ , અહમના લોભની છે . ઈશ્વરે આપેલા જીવન - પારસમણિનો ગેરસમજણને લીધે દુરુપયોગ કરો છો . જીવનને સુવર્ણ બનાવવાને બદલે તમે કથીર બનાવી નાખો છો

Tuesday, May 15, 2007

ફરજ અને હક્ક

આ જમાનો Easy-Money અર્થાત ફોગટનું ધન કોઈ પણ ઉપાયે મેળવી લેવાનો બની ગયો છે . સમગ્રતાથી વિચારીએ તો, દરેક બાબતમાં વધારે મેળવી લેવું અને ઓછું આપવું એવી હીનવ્રુત્તિ આપણા સમાજમાં અને દિમાગમાં ઘર કરી ગઈ છે . આ કારણથી લગભગ બધા જ ક્ષેત્રોમાં કટોકટી જેવી સ્થિતિનું સર્જન થઈ ગયું છે અને દેશ ખાડે ગયો છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. થોડા દ્રષ્ટાંતો દ્વારા સ્વનિરીક્ષણ કરીએ : -

  1. જેમણે જન્મ , ઉછેર , શિક્ષણ અને સંસ્કારો આપ્યા તેવા મા-બાપની સેવા કરવા આપણે કેતલા તત્પર છીએ ?

  2. બૅંક , એલ.આઈ. સી., પોસ્ટ કે પોલીસ-ખાતામાં કેટલા કલાકની ફરજ બજાવીએ છીએ ? વારંવાર હડતાળો પાડી , Unionism ને આધીન થઈ પગાર વધારો માગ્યે જઈએ છીએ અને કામ ઓછું કરવું પડે એવી માંગણીઓ કરતા જઈએ છીએ !!

  3. શાળા - કોલેજોમાં પૂરો પગાર મળે છે પણ ત્યાં તો નામ-માત્ર ભણાવીએ છીએ ; શક્તિ તો બધી ખાનગી ટ્યુશન કરવામાં જ વાપરીએ છીએ !

  4. વિધ્યાર્થી તરીકે વિધ્યા પ્રાપ્ત કરવાની મહેનત કરતા નથી , કૉલેજોમાં પીરિયડ ભરતા નથી અને પરીક્ષાના પેપરો પૈસાના જોરે ફોડી નાખીએ છીએ . શું આવું વિધ્યાર્થી જીવન હોય ?

  5. જે સદ્ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું તેમનાથી થોડા જ વખતમાં અલગ થઈ જઈએ છીએ , પોતાને સ્વયંસ્ફુરિત જ્ઞાન થયું છે એમ કહીએ છીએ, ગુરુનો ઉપકાર ઓળવીએ છીએ ; અને કથંચિત તેમની સાથે જ Unhealthy Competition કરવાનું અધમ ક્રુત્ય પણ કરીએ છીએ !!

  6. મા-બાપ તરીકે બાળકોના ભણતર અને ઘડતર પ્રત્યે બેદરકાર છીએ . કહીએ છીએ કે અમને બાળકો સાથે બેસવાનો સમય નથી . યાદ રાખીએ કે 14-15 વર્ષે છોકરો ચીઢીયો , રખડેલ કે સામાબોલો થઈ જાય ત્યારે તેનો વાંક કાઢીએ છીએ પણ આપણે આપણી ફરજ બજાવી નથી એવો એકરાર કરતા નથી !

  7. બેહદ કાળુ નાણું ભેગુ કરીએ છીએ . યોગ્યપણે કર ભરવાની ફરજ બજાવતા નથી અને પછી સરકારને અનેક પ્રકારે વગોવીએ છીએ અથવા ઇન્કમટેક્સ નો દરોડો પડતાં હ્રદયરોગના ભોગ બનીએ છીએ !

    તો , અહીં કહેવાનો આશય છે કે હક્ક અને ફરજ બન્નેનો , આપણા જીવનમાં યથાયોગ્યપણે વિકાસ સ્વિકારવો જોઈએ ; કારણકે બન્નેના અન્યોન્યા શ્રયથી જ સાચો વિકાસ સંભવે છે . હ્રદયના સાચા ભાવથી પોતાની ફરજ બજાવીએ અને યોગ્ય હક્કની માંગણી કરીએ ; કવચિત તેને માટે સત્યાગ્રહ માં પણ જોડાઈએ . આમ આ બન્નેનું સંતુલન કરીએ તો વ્યક્તિગત અને સમષ્ટિગત પ્રગતિ થઈ શકે અને સુખ , શાંતિ , સગવડ અને સૌજન્યની અનુભૂતિ થાય .