Friday, May 18, 2007

તમે દરરોજ ઊનું જમો છો કે ટાઢું ?

ભવ્ય , મનોહર અને કલામય દેલવાડાનાં જિનમંદિરો મંત્રી વસ્તુપાળ અને એમના પત્ની અનુપમા દેવીની કીર્તિગાથા આજેય કહે છે . ગિરિરાજ આબુ પર આવેલ લુણિગવસહી નામના મનોહર પ્રાસાદમાં દંપતીની ધર્મભાવનાઓનો ઉદ્ઘોષ કરે છે .

મંત્રી તેજપાળના ઘેર મુંજાલ મહેતા નામના નામું-ઠામું લખનાર વડીલ હતા . વર્ષોથી પરિવારમાં હોવાથી કુટુંબીજન બની ગયા હતા .

એકવાર મુંજાલ મહેતાએ મંત્રી તેજપાળને વિચિત્ર પ્રશ્ન કર્યો . એમણે પૂછ્યું , `` અરે મંત્રીરાજ ! મને કહેશો ખરા ? તમે ઊનું જમો છો કે ટાઢું જમો છો ?

મંત્રી તેજપાળને પ્રશ્ન સમજાયો નહી . એમણે કહ્યું , `` મહેતાજી , તમે શું કહો છો અને શા માટે કહો છો તે હું સમજી શકતો નથી . જરા ફરી કહો તો બરાબર સમજાય .

મુંજાલ મહેતાએ કહ્યું , `` મારે જાણવું છે કે તમે અગાઉ બનાવેલું ભોજન જમો છો કે પછી નવું તાજું ભોજન ખાવ છો ?

મંત્રી તેજપાળને પ્રશ્ન ઢંગધાડા વગરનો લાગ્યો . બીજ લોકોને થયું કે વીર યોધ્ધા અને રાજનીતીમાં કુશળ એવા વસ્તુપાળને આવો વાહિયાત પ્રશ્ન કરાતો હશે ?

આમ છતાં વસ્તુપાળે વિનયથી મુંજાલ મહેતાને કહ્યું , `` તમારો પ્રશ્ન મને સમજાતો નથી . એનો સંદર્ભ સ્પષ્ટ કરો તો ખ્યાલ આવે .

મુંજાલ મહેતાએ કહ્યું , `` આજ સવારે ધર્મસ્થાનમાં ગયો હતો . સાધુ મહારજ સાથે આપના વિશે વાત નિકળી . તેઓને જાણવું છે કે આપ રોજ ઊનું જમો છો કે ટાઢું ?

મંત્રી વસ્તુપાળ વિચારમાં પડી ગયા . નક્કી સાધુ મહારજની વાતમાં કોઈ સંકેત હોવો જોઈએ . મુંજાલ મહેતાએ સંકેત સ્પષ્ટ કરતાં કહ્યું , `` તમે જે કંઈ વૈભવ ભોગવો છો તે તો તમારા પૂર્વ જન્મની કમાણી છે . સવાલ છે કે આપ માત્ર ટાઢું ખાઈને બેસી રહો છો કે પછી જન્મ માં પુણ્યની નવી કમાણી કરીને ઊનું જમો છો ?

માનવી જ્યારે ટાઢું જમતો હોય છે ત્યારે ભાગ્યેજ ઉનું જમવાનું વિચાર કરતો હોય છે . પોતાની વર્તમાન સુખ , સંપત્તિ અને સાહ્યબીમાં એટલો ગળાડુબ બની જાય છે કે તે આવતી કાલનો વિચાર કરતો નથી . માત્ર આજને સર્વસ્વ માનીને ચાલે છે .

નવું તાજું ભોજન થાય તો જુનું ભોજન કેટલું ચાલે ? થોડાં સમયમાં જૂનું ભોજન ખૂટી પડતા ખાવાના સાંસા ઉભા થાય છે . આથી માનવીએ પોતાની જાતને સવાલ પૂછવો જોઈએ કે ટાઢું જમે છે કે ઊનું ?

No comments: