નર્મદ તો લખવામાં મસ્ત ! ઘરનું ગાડું કેમ ચાલે છે તેની એમને કોઈ ચિંતાજ નહી ! ઘરનો બધો વ્યવહાર એમનો રસોઇયો નરભેરામ ચલાવતો હતો .
એક વાર કવિ નર્મદ કશુંક લખી રહ્યા હતા , લખતાં લખતાં ખાવાનો સમય થયો , એટલે લખવાનું પડતું મૂકી રસોડામાં આવ્યા . નરભેરામને કહેવા લાગ્યા , `` નરભેરામ ! બોલો ! આજે રસોઇમાં શું રાંધ્યું છે ?”
નરભેરામે જવાબ આપવાને બદલે મોઢું નીચું કરી દિધું !
આ જોઇને કવિએ પૂછ્યું , `` તું જવાબ આપવાને બદલે નીચું કેમ જોવે છે ?”
નરભેરામે પોતાનું મોઢું ઊંચુ કર્યું . તેની આંખો આંસુથી ઉભરાઇ હતી . તે બોલ્યો , `` ઘરમાં આજે અનાજનો એક દાણો નથી . “ `` તો એમ વાત છે ! “ `` હા ! આપણી સંપત્તિ ગણો કે મિલકત ગણો , તે આ પાવલી જ છે ! “
`` વાહ ! પાવલી તો છે ને ? જા , બજારમાં જઇને પાવલીનું જે કાંઇ આવે તે ખાવાનું લઇ આવ .”
નરભેરામ બજારમાં ગયો અને બે આનાનું દૂધ અને બે આનાના પૌંઆ લઇ આવ્યો.
દૂધપૌંઆ આરોગતા આરોગતા નર્મદે નરભેરામને કહ્યું , `` આને પણ જીવનનો એક રંગ જ જાણ ! કુદરત આપણને જીવનના બતાવે તે જોવા જોઈએ . એમાં કદી હતાશ થવું ન ઘટે ! મોજથી કપરાં સંજોગોને પણ વધાવી લેવા જોઈએ .”
દૂધપૌંઆ આરોગીને વળી પાછું નર્મદે લખવાનું શરૂ કર્યું .

No comments:
Post a Comment