પ્રિય મિત્રો ! નૂતન વર્ષના તમોને સૌને હાર્દિક અભિનંદન . સમય તો અવિરતપણે વહ્યે જ જાય છે . સમયના પ્રવાહની સાથે ચાલનાર વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે . વેપારીઓ તો આખા વર્ષનો હિસાબ માંડીને ભૌતિક નફા - તોટાનો હિસાબ કરશે , પણ આપણે જીવનનો હિસાબ માંડીશું ખરા ? કેટલા સદ્ગુણોનો નફો થયો અને કેટલા અવગુણોની બાદબાકી થઈ એનો નૂતન વર્ષે વિચાર કરવો જોઈએ .
``આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું ,
કેટલી કમાણી કરી કેટલું છે દેવું;
કાઢી સર્વૈયુ કોઈ સંતને બતાવજો ,
આ જીંદગીના ચોપડામાં સરવાળો માંડજો . "
દીપાવલી પણ એ જ પ્રકાશનું પર્વ છે , પણ ખરેખર આપણે હ્રદયમાં પ્રકાશનું કિરણ પામ્યા છીએ ખરા ? દિવાળીએ ઘરનો કચરો તો કાઢીએ છીએ , પણ અંતરના ખૂણેખાંચરેથી દુર્ગુણોનો કચરો કાઢીએ છીએ ખરા ? બહારમાં તો મનમોહક રંગોળી કરીએ છીએ , પણ અંતરમાંથી વેરઝેર ની ભાવના દૂર કરી સદ્ભાવનાના રંગો ભર્યા છે ખરા ? મીઠાઈનો સ્વાદ તો માણીએ છીએ , પણ આત્માની શાંતિનો સ્વાદ ચાખ્યો છે ખરો ? દીપાવલીના દીવા બહારમાં તો પ્રગટાવીએ છીએ , પણ હ્રદયમાં વરસોવરસના કાળા અંધકારના થર પર થર બાઝી રહ્યા છે તેનો વિચાર કદી કર્યો છે ખરો ?
તો ચાલો , નૂતન વર્ષે આપણે હ્રદયમાં અજ્ઞાબરૂપી અંધકાર દૂર કરનાર જ્ઞાનરૂપી દીવો પ્રગટાવવાનો તથા જીવનને સદ્ગુણોની સુવાસથી મઘમઘતું બનાવવાનો સંકલ્પ કરીએ .
મિતેશ એ . શાહ

No comments:
Post a Comment