Monday, September 24, 2007

તુકારામના મૌને ક્રોધીને નમાવ્યો.

સંત તુકારામના ભજનો સાંભળવા માટે એક માણસ રોજ આવે ખરો, પણ તે સંત તુકારામની પ્રસંશા કરવાને બદલે નિંદા જ કરે ! તુકારામની નિંદા કરવાની એક પણ તક તે જવા ન દે. એક દિવસ તો સંત તુકારામ સાથે ઝઘડવાનો તેને એક મોકો મળી ગયો. વાત એમ હતી કે તુકારામની ભેંસ ચરતી ચરતી આ માણસના વાડામાં પેસી ગઈ અને વાડામાં પડેલું થોડું ઘાસ ખાઈ ગઇ. બસ પછી તો પૂછવું જ શું ? પેલો માણસ કૂદી કૂદીને તુકારામને ગાળો ભાંડવા લાગ્યો, છતાં તુકારામ મૌન જ રહ્યા. તેમણે પેલા માણસને સામે એક પણ શબ્દ કહ્યો નહિ. તુકારામનું આવું મૌન વર્તન જોઇને પેલો માણસ વધુ ઉશ્કેરાયો અને વધુ જોરથી ગાળો ભાંડવા લાગ્યો. છેવટે તે તુકારામ પર એટલો બધો ગુસ્સે ભરાયો કે તુકારામની પીઠમાં બાવળની એક શૂળ જ ભોંકી દિધી. તુકારામે ક્શું બોલ્યા વિના હળવેથી શૂળ બહાર કાઢી, પણ એમ થતાં જ તેમની પીઠમાંથી લોહીના રગડા વહેવા લાગ્યા. સાંજ પડી, ભજન કીર્તનનો સમય થયો, સંત તુકારામ ભજન ગાવા બેઠા એ સમયે ભજન સાંભળવા રોજ આવનારા બધા જ હાજર હતા, પણ પેલો માણસ હાજર ન હતો. તરત જ તુકારામ ઊભા થઈને પેલાના ઘરે પહોંચ્યા અને બોલ્યા , "ભાઇ, મારી કંઇ ભૂલ હોય તો હું તારી માફી માંગુ છું, પણ મારી ભૂલને કારણે તું પ્રભુના ભજન ન સાંભળે એ તે ક્યાંનો ન્યાય ? ચાલ, ભજન સાંભળવા ચાલ ! મારા પરનો રોષ ઇશ્વર પર શા માટે ઠાલવે છે ?" તુકારામના આ શબ્દો સાંભળી પેલો ખૂબ શરમાયો. તે ભજનમાં આવ્યો.ભજન પૂરુ થયું એટલે તેણે તુકારામને કહ્યું , " મને માફ કરો. આપના જેવા અક્રોધી પર ક્રોધ કરીને મેં એક મોટું પાપ કર્યું છે, મને માફ કરો. મારા ક્રોધની મહિ, પરંતુ તમારા મૌન અને નમ્રતાની જીત થઈ

No comments: