Wednesday, December 20, 2006

સંતવચનનો પ્રભાવ

શાકંભરી નગરીમાં ધનાશાહ નામે શ્રાવક રહેતા હતા.નામ ધનાશાહ પરંતુ ધનનું તો નામનિશાન ન મળે. તેમની સ્ત્રી રેંટિયા કાંતે , સૂતર કાઢે અને ધનાશાહ તેનું કાપડ વણાવી વેચે. આમ પોતાનું ગુજરાન ચલાવતા, એક વખત ધનાશાહે પોતાના માટે જ સૂતર કંતાવી તેમાંથી ચોફાળ વણાવ્યો, જેથી શિયાળામાં ઓઢવા કામ આવે.
એક દિવસ શાકંભરી નગરીમાં મહાર આ જ આ કુમારપાળના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય પધાર્યા . એમને મન તો શ્રીમંત અને રંક સૌ સમાન હતા . આવા મહાન આચાર્યને પોતાને ત્યાં પધારેલ જોઈ ધનાશાહને ખૂબ ભાવ આવ્યો, એટલે તેણે સૂઝતો આહાર વહોરાવ્યો અને પેલો ચોફાળ પણ વહોરાવી દીધો. શ્રી હેમચંદ્રાચાર્યે તેને ગ્રહણ કર્યો.
કેટલાક દિવસે શ્રી હેમચંદ્રાચાર્ય પાટણ પધાર્યા, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. સામમૈયામાં મહારજ પોતે પણ સામેલ હતા. શ્રી હેમચંદ્રચાર્યનો ચોફાળ જોઈ રાજાએ કહ્યું , "ભગવાન ! આપ તો મારા ગુરુ ગણાવ . તમે આવા જાડા ચોફાળ જેવાં કપડાં પહેરો તે જોઈને મને શરમ આવે છે." હેમચંદ્રાચાર્યે જવાબ આપ્યો, "તમે રાજા છો, પણ તમારા જ સાધર્મિક ગરીબ હાલતમાં રહે છે. અમને મુનિઓને શું? અમને તો અલ્પ મૂલ્યવાન અને જીર્ણ વસ્ત્ર જ શોભે."
આ ઊપદેશની એવી અસર થઈ કે કુમારપાળે સાધર્મિક વાત્સલ્ય પાછળ દર વર્ષે 1 કરોડ સોનામહોર ખર્ચવાનો નિર્ણય કર્યો. આ રીતે 14 વર્ષ સુધી 14 કરોડ સોનામહોરનો સદ્વ્યય કર્યો. ઈતિહાસમાં કુમારપાળે સાધર્મિક વાત્સલ્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું.
ઊપદેશ કરતાં આચરણની અસર ત્વરિત થાય છે.

No comments: